વિશ્વકપની હાર પછી આજે રોહીત શર્માની પહેલી પ્રેસ કોન્ફરન્સ

By: nationgujarat
25 Dec, 2023

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે એટલે કે 26મી ડિસેમ્બરે રમાનારી પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ સાથે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ સીરીઝની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા આજે એટલે કે 25મી ડિસેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરશે. રોહિત શર્માની આ પ્રેસ કોન્ફરન્સ ખૂબ જ ખાસ રહેવાની છે. વાસ્તવમાં, રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ મીડિયા સાથે વાતચીત કરી નથી, તે વર્લ્ડ કપ પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે રોહિત શર્માની જગ્યાએ કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. રોહિત હવે તે હાર બાદ મીડિયા સાથે સીધી વાત કરશે. પ્રેસ કોન્ફરન્સ અઢી વાગે શરૂ થશે.

રોહિત શર્માની આ પ્રેસ કોન્ફરન્સ અગત્યની ગણાશે. આ દરમિયાન ચાહકોને ખબર પડશે કે હિટમેન અને આખી ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારમાંથી શું શિખ લીધી અને ટીમનું આગળનું પ્લાનિંગ શું છે . આ સિવાય ટીમની ભવિષ્યની યોજનાઓ અને રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ રમશે કે નહીં તે પણ સ્પષ્ટ થઈ શકે છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ કોમ્બિનેશન કેવું હશે? આના પર પણ સંકેતો મળી શકે છે. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે આ પ્રેસ કોન્ફરન્સનો આનંદ માણી શકો છો.

રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે, જ્યારે ચાહકો સ્ટાર સ્પોર્ટ્સની યુટ્યુબ ચેનલ અને હોટસ્ટાર પર ઓનલાઈન પણ તેને જોઇ શકશે.


Related Posts

Load more